હીરાઉદ્યોગમાં મંદી : મોટાઓને નડી, નાનાઓની હાલત કરી કફોડી!

મંદીમાં પોતાનો ધંધો બચાવી રાખવાની ફિરાકમાં હીરા ઉત્પાદકોએ રત્નકલાકારોને છૂટા કરવાનું વલણ અપનાવતા 10,000થી વધુ રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી

Recession in the diamond industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

મંદીની સૌથી પહેલી જાણ ઉદ્યોગકારોને થાય છે પરંતુ તેની સૌથી ખરાબ અસર નાના કારીગર વર્ગને થતી હોય છે, આવું જ કંઈક આ વખતે હીરા ઉદ્યોગની મંદીમાં જોવા મળ્યું છે: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી એવું સંભળાતું હતું કે વેહલા મોડા હીરા ઉદ્યોગ મંદીમાં સપડાશે અને આખરે 2023ના વર્ષના પ્રારંભથી જ હીરા ઉદ્યોગની સ્થિતિ કથળવા લાગી: યુરોપીયન દેશોમાં હીરાની માંગ ઘટી જેના પગલે સુરતના હીરા ઉત્પાદકોની આવક-જાવકની સાયકલ ખોરવાઈ ગઈ: સપ્લાય સામે ડિમાન્ડ ઘટતા જ પડતર ખર્ચાઓના ભાર નીચે હીરા ઉત્પાદકો દબાવવા લાગ્યા

છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મંદીનો સામનો કરી રહ્યો છે. કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના હીરામાં માંગ ઘટી છે. યુરોપિયન દેશોમાં પોલિશ્ડ ડાયમંડની માંગ તળિયે બેઠી છે. બીજી તરફ યુરોપિયન દેશો રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકવા માટે આગળ વધી રહ્યાં છે ત્યારે સુરતના હીરા ઉત્પાદકોની સ્થિતિ વિકટ બની છે. ડિમાન્ડ નહીં હોવાના લીધે સ્ટોકનો ભરાવો થયો છે તેને પરિણામ હીરા ઉદ્યોગકારો ઉત્પાદન કાપ, છટણી, વેકેશન જેવા ઉપાયો કરી પડતર ખર્ચ ઘટાડી રહ્યાં છે.

અત્યાર સુધી નાના હીરાના કારખાનેદારો વૅકેશન, છટણી કરતા હોવાનું સંભળાતું હતું પરંતુ આર્થિક મંદીની અસર તળે સુરતના મોટા ડાયમંડ પ્લેયર્સ પણ ફસાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સુરતની મોટી ડાયમંડ કંપની કાર્પ ઈમ્પેક્સ દ્વારા એક સાથે 50થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. આવા મોટા ગજાના હીરા ઉદ્યોગકારો દ્વારા પણ રત્નકલાકારોને છૂટા કરવાનું વલણ અપનાવતા હીરા ઉદ્યોગમાં બધુ ઠીક નહીં હોવાનું ચિત્ર ઊભું થયું છે.

છેલ્લાં બે મહિનાથી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન બૂમો પાડી પાડીને કહી રહ્યું છે કે આર્થિક મંદીના લીધે સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી 10 હજાર રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે. મોટી સંખ્યામાં રત્નકલાકાર પરિવારો આર્થિક સંકટનો સામનો કરવા મજબૂર બન્યા છે. કેટલાંક રત્નકલાકારોએ બેરોજગારી અને આર્થિક તકલીફોને પગલે મોત વ્હાલું કર્યું છે. આ માટે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીને પણ રજૂઆત કરી રત્નકલાકારોના હિતમાં પગલાં લેવા વિનંતી કરી છે. પરંતુ હજુ સરકાર કોઈ પગલાં લે તે પહેલાં તો સુરતના મોટા ડાયમંડ પ્લેયર્લ પણ રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરતા હોવાના કિસ્સા બનવા લાગતા હીરા ઉદ્યોગ ખૂબ જ મોટી તકલીફમાં મુકાયો હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

કિશોર માલદાર જેવા મોટા ગજાના હીરા ઉદ્યોગકારની કંપનીએ રત્નકલાકારોને છૂટા કરતા હીરા ઉદ્યોગમાં ભય

કતારગામ-લાલદરવાજા નટરાજ સિનેમા વિસ્તારમાં આવેલી કિશોર માલદારની માલિકીની કાર્પ ડાયમંડ કંપની દ્વારા 54 રત્નકલાકારોને હીરા ઉદ્યોગની વર્તમાન મંદીમાં તૈયાર હીરા અને જ્વેલરીની ઓછી ડિમાન્ડનું કારણ આપી છુટા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, કામ ન હોવાનું કારણ આપી કાર્પ ડાયમંડ કંપની દ્વારા તા. 1 જૂનના રોજ 50થી વધુ રત્નકલાકારોને કામે ચઢવા દેવામાં આવ્યા ન હતા. કારીગરો કાર્પની ઓફિસે કલાકો રજુઆત કર્યા પછી ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા. આ અંગે મેનેજમેન્ટનો સંપર્ક કરી કારીગરોને નોટિસ પિરિયડનો પગાર, હક રજાનાં રૂપિયા, બોનસ, ગ્રેજ્યુઈટીના બાકી નાણાં ચૂકવી આપવા જણાવ્યું હતું. કાર્પના મેનેજમેન્ટે આ મુદ્દે માનવતા પૂર્વક વિચારણા કરી યોગ્ય ન્યાય તોળવાની ખાતરી આપી હતી. 54 જેટલા રત્નકલાકારોએ ડાયમન્ડ એસો.ને પણ નામોની યાદી રજૂ કરી હતી.

છટણી અને લાંબા વેકેશનના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા

રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ અને જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. પ્રથમવાર સુરતના હીરા ઉદ્યોગે 7 દિવસના ઉનાળુ વેકેશનને બદલે 15 થી 30 દિવસનું વૅકેશન રાખ્યું છે. ઘણા કારીગરો બેરોજગાર બની ગયા છે. કેટલાકે આર્થિક સંકડામણથી ત્રાસી જીવન ટુંકાવ્યું છે.  2, 5, 10 ઘંટી ચલાવતા 10 % હીરાનાં નાનાં કારખાનાં 5 જૂને વૅકેશન પૂરું થયા પછી પણ નહીં ઉઘડે. જો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામોમાં વસતા કારીગરો સ્કૂલો શરૂ થઈ રહી હોવાથી સુરત પરિવાર સાથે આવવાના શરૂ થયા છે અને જો તેમને અહીં કામ નહીં મળે તો ગંભીર સ્થિતિ ઊભી થશે. 300 જેટલા કારખાનેદારોએ રત્નકલાકારોને બજારની સ્થિતિ સુધરવાની રાહ જોવા અથવા બીજી ફેક્ટરીમાં અનુકૂળ કામ મળતું હોય તો બેસી જવા પણ જણાવ્યું છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને શ્રમરોજગાર મંત્રીને રત્નદીપ યોજના ફરી શરૂ કરવા રજૂઆત કરી

રત્નકલાકારોની આ સ્થિતિ અંગે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ ઝીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંક સહિતના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા અને વર્તમાન સ્થિતિનો સરવે કરાવી રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી હતી.

હીરા ઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ

  • હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન થવું જોઈએ
  • આત્મહત્યા કરનાર અને હાલ બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પૅકેજ જાહેર કરવામાં આવે
  • વર્ષ-2008ની મંદીમાં જાહેર કરેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવામાં આવે
  • બેરોજગારી અને આર્થિક સંકટના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને તાત્કાલિક આર્થિક મદદ કરવામાં આવે
  • રત્નકલાકારોના ઘરના ગુજરાન માટે લેબર અને ફેક્ટરી વિભાગ વેકેશનનો પગાર મળે એ માટે મધ્યસ્થી કરે
  • કારીગરોની રજાનો પગાર કંપનીઓ અને કારખાનેદારો ચૂકવે. જેથી થોડીક રાહત મળી શકે.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સુરતની હીરા ઉદ્યોગની સ્થિતિ અંગે લેબર કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો

મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના હિત માટે સરકારમાં રજૂઆત કરી હતી. ડાયમંડ વર્કર યુનિયને એવો ભય વ્યક્ત કર્યો હતો કે સુરતના 10 % નાના અને માધ્યમ હરોળનાં હીરાનાં કારખાનાં 5 જૂને વેકેશન પૂરું થયા પછી પણ નહીં ઉઘડે, 300 કારખાનાં બંધ થઈ ગયાં છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરી છે. જો સરકાર નહીં જાગે તો 2008 જેવી સ્થિતિ નિર્માણ પામશે એવી ચેતવણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને આપતાં તેમણે સુરતના ડેપ્યુટી લેબર કમિશનર અને જોઇન્ટ ડાયરેક્ટર ફેક્ટરી (સેફ્ટી એન્ડ સિક્યોરિટી)ને જાતે ફોન કરી તાત્કાલિક રિપોર્ટ મોકલવા અને પગલાં લેવા જણાવ્યું હતું.

આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂતે બંધ થયેલી કારીગરોના કલ્યાણ માટેની ‘રત્નદીપ’ યોજના સુધારા વધારા સાથે ફરી શરૂ કરવા ખાતરી આપી હતી. પ્રતિનિધિમંડળમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયા, ઉપપ્રમુખ ભાવેશ ટાંક અને મંત્રી હરિ મારાજ, દીપકભાઈ વોરા, પ્રવીણભાઈ ભેંસાણીયા, પરેશભાઈ ગઢિયા, પ્રદીપભાઈ વિરાણી તથા હિતેશભાઈ કોશિયાએ રજૂઆત કરી હતી.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સુરતના અધિકારીઓને ફોન કરી આદેશ આપ્યો હતો કે, કારીગરોને રજાનો પગાર મળવો જોઈએ. શ્રમ કાયદાઓનું પાલન નિયમ મુજબ કરવાનું છે. કોઈ બિનજરૂરી પગાર કાપે તો કાર્યવાહી કરવાની રહેશે.

હીરા ઉદ્યોગમાં અચાનક મંદી કેમ આવી?

હીરા ઉદ્યોગના જાણકારો કહે છે કે, હીરા ઉદ્યોગમાં અચાનક મંદી આવવાનું એક કારણ રશિયા એ યુક્રેન સાથે શરૂ કરેલું યુદ્ધ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે. તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન,અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલું અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી. બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતાં મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના કારખાનાઓ પર પડી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. તેઓ કારીગર વર્ગ માટે રાહત પૅકેજ સરકાર જાહેર કરે એવી રજૂઆત કરી રહ્યાં છે.

પહેલીવાર મોટી ડાયમંડ કંપનીઓએ લાંબુ વૅકેશન આપ્યું

સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને લીધે ઘણા વર્ષો પછી સુરતની મોટી ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓને પણ ફરજિયાત ઉનાળુ વૅકેશન રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતન જતા રત્નકલાકારો માટે 7 દિવસ વૅકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે 15 દિવસનું વૅકેશન જાહેર કર્યું છે. મોટી કંપનીઓના મેનેજરોએ રત્નકલાકારોને છૂટ આપી છે કે જો તેઓ 7 જુનથી કામે ચડવા માંગતા હોય તો એવું કરી શકે છે. કંપની 7 દિવસની જ રજાનો પગાર આપશે. મોટી કંપનીઓમાં કિરણ અને શીતલ જેમ્સએ વેકેશન રાખ્યું નથી. કર્મચારીઓને બોનસમાં વાહનો, જ્વેલરી અને ફ્લેટ આપનાર કંપનીએ પણ વેકેશન રાખી બજારની સ્થિતિ કેવી છે, એનો અંદાજ સૂચવી દીધો છે. જો મોટી કંપનીઓના પાટીયા બેસી ગયા હોય તો નાની કંપનીઓની શું હાલત હશે? ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, 15% જેટલા નાના અને મધ્યમ હરોળના કારખાનાઓમાં 5 જૂન સુધીનું ફરજિયાત વૅકેશન રાખવામાં આવ્યું છે. આ કારીગરોને વતન જવા અને આવવાનો ખર્ચ જુદો થશે. પણ કારખાનું વેતન નહીં આપે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant